જેમ રેડીયોધર્મી પદાર્થોનું સતત વિખંડન થતું રહે છે તેમ, પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઉર્જા લક્ષી સમાચાર, વર્તમાનપત્રોમાં સતત છપાતા રહે છે. સૌપ્રથમ પાકિસ્તાન ની વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ રહસ્ય વેચવા બદલ છાપાઓમાં છવાઈ ગયા હતા. આજકાલ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં પાકિસ્તાન ફરી વાર ચમકી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ચીન પાસેથી પરમાણુ રિએક્ટર અને તેને લગતી ટેક્નોલોજી મેળવવા માટે ચીન સાથે વાટાઘાટો શરૂ કરી છે. પાકિસ્તાન ચીન પાસેથી ૬ પરમાણુ રિએક્ટર ખરીદવા માગે છે. વિશ્વની પોલીસની ભૂમિકા ભજવવા અમેરિકાને વિશ્વનો કોઈ દેશ પરમાણુ ઊર્જા ક્ષેત્રે પગભર થાય તે પસંદ નથી. બાજપાઈની સરકાર હતી ત્યારે ભારતે કરેલા બીજા પરમાણુ ધડાકાના પગલે અમેરિકાએ ભારત ઉપર કેટલાક આર્થિક અને ટેકનોલોજીકલ પ્રતિબંધ લાદી દીધા હતા. હાલમાં ઈરાન અને દક્ષિણ કોરિયા અમેરિકાની આંખમાં ખૂંચી રહ્યા છે કારણ કે તેઓ પરમાણુ મથકો ના વિકાસ સાધી પરમાણુ સત્તા બનવા તરફ આગળ જઈ રહ્યા છે. સીઆઈએ નામની જાસૂસી સંસ્થા, ઇરાન ઉપર ચાર આંખ કરીને જાસૂસી કરી રહી છે.
તાજેતરમાં સીઆઈએના વડા પોર્ટર ગોસે તુર્કી દેશની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઈરાન ઉપર હવાઇ હુમલા કરવા પડે તો તુર્કીના એરબેઝ નો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ તેમણે રાખ્યો હતો. આ ઉપરાંત આ એરબેઝની સવલતો પણ તેમણે ચકાસી હતી. ઈરાન તેમના પરમાણુ કાર્યક્રમમાં આગળ વધવા મક્કમ લાગે છે. આ મુદ્દે તે અમેરિકાની ‘એસી કી તૈસી’ કરવા માગે છે. એક જર્મન અખબારે અહેવાલ છાપ્યા હતા. અમેરિકા ઈરાનને પરમાણું કાર્યક્રમમાં આગળ વધતું રોકવા, ઈરાનની પરમાણુ સુવિધાઓ ઉપર હવાઈ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
હાલના તબક્કે ભારતના પરમાણુ પાવર પ્રોગ્રામને આંશિક ગ્રહણ લાગી રહ્યું છે. ભારત “યુરેનિયમ ક્રાઇસિસ”માંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે ભારતમાં ૧૩ જેટલા પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટર, કુદરત માંથી મળી આવતા યુરેનિયમ નો ઉપયોગ કરી ઊર્જા પેદા કરે છે. ભૂમિ માંથી મળતો યુરેનિયમનો જથ્થો દિન-બ-દિન ઘટી રહ્યો છે. બળતણ તરીકે ઉપયોગમાં લેવાતા યુરેનિયમનો જથ્થો ઓછો થતાં, પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટરની ક્ષમતા ઘટી રહી છે. આ તેર રિએક્ટરમાં વર્ષે દાડે ૩૦૦ ટન જેટલો યલો કેક તરીકે ઓળખાતો યુરેનિયમ પદાર્થ જોઈએ છે. જેની સામે યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વર્ષે દહાડે માત્ર 220 ટન ઉત્પાદન કરી શકે છે. અહીં 80 ટન નો ચોખ્ખો તફાવત નજરે પડે છે. આ ખોટ સરભર કરવા અને માંગને પહોંચી વળવા માટે ભારતીય વૈજ્ઞાનિકોનો નવો જથ્થો શોધવા મથી રહ્યા છે. કુદરતી અવસ્થામાં યુરેનિયમનો નવીન જથ્થો આધ્રપ્રદેશ અને મેઘાલયમાંથી મળી આવ્યો હોવા છતાં, ત્યાંની રાજ્ય સરકારનાં ઉદાસીન વલણ, સ્થાનિક લોકોનાં વિરોધ અને રાજકારણનાં દાવપેચનાં કારણે, પરમાણુ ઊર્જાના ઉપયોગ માટે ઉપલબ્ધ થઇ શકતો નથી. હાલની અછત અને ભવિષ્યની માંગને નજરમાં રાખી ભારત સરકારે નવો એકશન પ્લાન મુકવાનો સમય આવી ગયો છે.
જોકે એટમિક એનર્જી કમિશનનાં ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીનાં સેક્રેટરી ડૉ. અનિલ કાકોદકરે એક ઇન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે, ‘‘જો મને આયાત કરેલું યુરેનિયમ ભરપુર માત્રામાંથી બહારથી મળી રહે તો, આપણે આપણી ટેકનોલોજી વાપરી PHWRS બાંધી શકીએ. તમે આ પરમાણું ઉર્જાની ક્ષમતા 10,000 MWe જેટલી આંકી શકો, આ વધારાની ક્ષમતા ત્યારે જ જળવાઈ રહે, જો આયાતી જથ્થો સમયસર સહેલાઇથી મળી રહે. આ માટે ભારતીય પરમાણુ સુવિધાને આંતરરાષ્ટ્રીય ‘‘સેફગાર્ડ’’ નીચે મુકી શકાય. વાત સાચી છે. મહત્ત્વનો મુદ્દો એ છેકે “યુરેનિયમનો જરૂરી જથ્થો નિયમીત મળતો રહેવો જોઈએ.” આ વાત ક્યારેય શક્ય નથી. કારણ કે વિશ્વ રાજકારણની શતરંજનાં મહોરા, રાજકીય ઘટનાઓ અનુસાર ચાલતા હોય ત્યારે, બાજી ક્યારે પલટાઈ જાય તે કહેવાય નહીં. અમેરિકાની માફિયાગીરી સામે ભારતને યુરેનિયમનો જરૂરી જથ્થો અવિરતપણે મળે રાખે તેમ માનવું ભુલ ભરેલું છે. જ્યારે ભારતની ભૂમીમાંથી સસ્તુ યુરેનિયમ મળતું હોય તો, વિદેશી મોંધા યુરેનિયમનો મોહ ન રખાય. ભારતનાં ‘PHWRs, 2002-03માં 90% વર્લ્ડ કલાસ ક્ષમતાથી દોડતા હતાં. 2003-04 માં તેમાં 9% ઘટાડો થઈ 81%એ પહોચ્યા હતાં. 2004-05માં PHWRs 76%ની ક્ષમતાથી ચાલ્યા હતાં. આ ધોરણે અંદાજ માંડીએ તો ચાલુ વર્ષ 2005-06માં 70% ક્ષમતાથી PHWRs ઉર્જા પેદા કરી રહ્યું હોવું જોઈએ.
ભારતનાં ‘‘વિઝન 2020" પ્રમાણે પરમાણું પાવરનાં ઉત્પાદનનો લક્ષ્યાંક 2020 સુધીમાં 20,000 MWe સુધી લઇ જવાનો છે. હાલમાં આપણાં સ્વદેશી રીએકટરો 10,000 MWe નો લક્ષ્યાંક મેળવવા કાર્યરત છે. રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં ભારતનાં આઠ પરમાણુ રીએકટર બંધાઇ રહ્યા જેમાંનાં પાંચને યુરેનિયમનો અવિરત જથ્થો મળતો રહે એ જરૂરી છે. 300 MWeની કેપેસીટીવાળું થોરીઅમ સંચાલીત એડવાન્સ હેવી વોટર રીએકટરનું બાંધકામ આવતા વર્ષે શરૂ થશે. કેન્દ્ર સરકાર 700 MWeની ક્ષમતાવાળા ચાર PHWRs ગુજરાત અને રાજસ્થાનમાં બાંધવાની મંજુરી આપી ચુક્યું છે. ભવિષ્યની આ બધી યોજનાઓને સાકાર કરવાં ‘‘યુરેનિયમ’’ની અંત્યંત આવશ્યકતા છે. આ યોજનાઓને યુરેનિયમ પુરૂ પાડવા ભારતનાં વિવિધ સ્થળોએ યુરેનિયમ તેમજ અન્ય કિમતી ધાતુઓ શોધવાનો પ્રયત્નો થઇ રહ્યા છે. આ તબક્કે ભવિષ્ય ઉજ્જવળ કરવા પણ આંધ્રપ્રદેશ અને મેઘાલયમાં મળી આવેલ સંભવિત યુરેનિયમ ક્ષેત્રોમાંથી કાચી ખનીજ ધાતુ ખોદી કાઢવી જરૂરી છે.
કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓ (NGD) ‘‘પરમાણું પદાર્થથી નિકળતાં વિકીરણથી માનવીને થતી અસરોની વિડીયો’’ બતાવી સ્થાનિક લોકો, ભોળી આદીવાસી પ્રજાને ભરમાવી રહી છે. શિક્ષિત લોકોને આ NGO કુદરતી સંપત્તિને થતું નુકશાન થાય છે એમ બતાવીને રાજકીય મકસદ સિદ્ધ કરી રહ્યા છે. સરવાળે ખોટ તો ભારતનાં નાગરીકને જ ભોગવવાની આવશે. પરમાણું ઉર્જાની મદદથી વિદ્યુત પેદા કરવાનું આપણું લક્ષ્યાંક સિદ્ધ નહી થાય તો, વેપાર, વાણીજ્ય અને ઉદ્યોગ ધંધા ઉપર તેની પરોક્ષ અસર પડવાની શક્યતા છે જ. પરમાણું ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર થવામાં પોતાનાં જ હિતો પગ પર, લોકો જાતે જ કુહાડો મારી રહ્યો છે.
ખનીજમાથી યુરેનિયમ યુક્ત પદાર્થ અલગ કરી નજીકની મિલમાં તેને યુરેનિયમની ‘‘યલો કેક’ ‘માં ફેરવવામાં આવે છે. આય લોક એક ત્યારબાદ હૈદરાબાદ ખાતે આવેલ ન્યુક્લિયર ફ્યૂઅલ કોમ્પલેક્ષમાં શુદ્ધિકરણ પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. અહીં યુરેનિયમ ને પરમાણુ રિએક્ટર વાપરી શકાય તેટલા ગ્રેડની શુદ્ધતા વાળા બળતણના બંડલમાં ફેરવવામાં આવે છે. યુરેનિયમના બળતણ મંડલ ત્યાર બાદ ભારતના વિવિધ પરમાણુ રિએક્ટરમાં ફ્યુઅલ તરીકે મોકલવામાં આવે છે.પરમાણુ રિએક્ટર આપ્યું નો ઉપયોગ કરી વિદ્યુત ઊર્જા પેદા કરે છે. યુરેનિયમ ને સંવર્ધિત કરી લશ્કરી હેતુ માટે પણ કામમાં લેવામાં આવે છે. હાલમાં ઝારખંડ માં આવેલ સીન્ગ્ભુમ જિલ્લાના જદુગુડા માંથી જ નાભિકીય વિદ્યુત ઉર્જા મેળવવા માટે, પ્રતિવર્ષ ૨૧૦ ટન યલો કેકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વિસ્તાર માં મળી આવતા ખનીજ યુક્ત ખડકોમાં યુરેનિયમનું પોટેન્શિયલ ૦.૦૬૫ % જેટલું જ છે. મેઘાલયના સંભવિત ક્ષેત્રનું પોટેન્શિયલ ૦.૧૦% અને આંધ્રપ્રદેશનું પોટેન્શિયલ ૦.૦૩% છે. જ્યારે લાંબાપુરના વિસ્તારમાંથી ૦.૧૦ %ના હિસાબે યુરેનિયમ અલગ તારવી શકાય તેમ છે. સરખામણી કરવી હોય તો, કેનેડા માંથી મળતા ખનીજોમા યુરેનિયમનું પ્રમાણ ૨૧ ટકા જેટલું ઊંચું હોય છે.
(૧૬ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ, ગુ.સમાચારની સાયન્સ@ નોલેજ.કોમમાં પ્રકાશિત થયેલ “ કવર સ્ટોરી)